ગુજરાત રાજ્યની 14 જેટલી ડેરીઓ પર 150થી વધુ ટેન્કરોમાં વહન થતા દૂધની તપાસ કરાઇ

03-01-2025

Top News

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ-અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી આ ટેન્કરોના દૂધના ૪૦થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા. વધુમાં, તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી ૧૪ જેટલી ડેરી પર ૧૫૦થી વધુ ટેન્કરો સહિત કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોના આશરે ૨૨ લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી. 

૯૦૦ જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, તંત્રને રાજ્યમાં વેચાણ થતા દૂધની ગુણવત્તા બાબતે નાગરિકો તરફથી અવારનવાર ફરિયાદો મળતી હોય છે, જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દુધની વેચાણ કરતી ડેરીઓ અને દૂધનું વહન કરતા ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૪ જેટલી મોટી ડેરીઓ તથા ૧૫૦થી વધુ ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રાજ્યમાંથી ટેન્કર, કેન તથા અન્ય માધ્યમથી ડેરીમાં આવતા ૯૦૦ જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દૂધનો ૧૫ લાખ લિટરથી વધુનો જથ્થો ધારાધોરણ મુજબનો માલુમ પડ્યો હતો અને જેમાં અન્ય કોઈ પણ પ્રકારના પદાર્થ જેવા કે યુરિયા, શુક્રોઝ, માલ્ટોડેક્ષટ્રીન, સોડિયમ બાયકાર્બોનેટ, ડિટર્જન્ટ કે અન્ય હાનિકારક કેમિકલની હાજરી જોવા ન મળી હતી.

સ્પે. સ્કોડ દ્વારા રતનપુર, બાજીપુરા અને પિતોલ ચેકપોસ્ટ તથા હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી

કમિશનરએ ઉમેર્યું હતું કે રાજ્યકક્ષાની સ્પે. સ્કોડ દ્વારા રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ઝુંબેશના ભાગરૂપે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પરપ્રાંતથી આવતા દૂધના ટેન્કરોની તપાસ કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ, તાપી જિલ્લાની બાજીપુરા ચેકપોસ્ટ, દાહોદ જિલ્લાની પિતોલ ચેકપોસ્ટ, અને હિંમતનગરની સાબર ડેરી એમ કુલ ચાર જગ્યાઓ પર વહેલી સવારે પેટ્રોલિંગ કરીને ત્યાં આવતા દૂધના ટેન્કરોમાંથી દૂધના નમુના લઇ સ્થળ પર જ મિલ્કોસ્કેન મશીનનો ઉપયોગ કરી ફુડ સેફ્ટી વાનમાં ચકાસણી કરવામાં આવી હતી. 

આ સઘન તપાસ દરમિયાન અન્ય રાજ્યમાંથી આવતા કુલ ૩૧ દૂધના ટેન્કરો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૪૧ દૂધના નમૂના મિલ્કોસ્કેન મશીનમાં સ્થળ ઉપર જ ચેક કરવામાં આવ્યા હતા. આ તમામ દૂધના નમૂનાઓ ધારાધોરણ મુજબના જોવા મળ્યા હતા. આ ઉપરાંત કુલ ૨૯ સર્વેલન્સ નમૂના લઈને લેબોરેટરીમાં વધુ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આમ, કુલ ૬.૨૫ લાખ લિટરથી વધુ દૂધનું રાજ્યની બોર્ડર પર અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર વહન દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં ૧૦ હજાર થી ૨૮ હજાર લિટર દુધની કેપેસિટીનું વહન કરી શકે તેવા ટેન્કરો જે-તે ડેરી દ્વારા સીલ કરીને અને દૂધના રિપોર્ટ સાથે વહન કરતા હતા, જેથી તેના વહન દરમ્યાન રસ્તામાં ભેળસેળ અટકાવી શકાય.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા સમયાંતરે પણ દૂધની નમૂના માટેની રાજ્ય વ્યાપી ડ્રાઈવ કરવામાં આવે છે. ગત વર્ષે ૩,૩૦૦ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં ૩ ટકા જેટલા નમુનાઓ ધારાધોરણ મુજબના ન હોઈ તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, તંત્ર દ્વારા કરવામાં આવતી આ તપાસથી રાજ્યમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં થતી ભેળસેળને સમર્થન મળતું નથી અને દૂધ જેવા પ્રાથમિક ખોરાકમાં ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates